પૃષ્ઠો

મારી બ્લૉગ સૂચિ

શનિવાર, 25 જુલાઈ, 2009

એક ઠોઠ વિદ્યાર્થીની આત્મકથા

ચશ્મા ઉતરે છે ને ફરી ચડે છે પુસ્તકાલયમાં મારી બાજુમા બેસેલા સજ્જનના. એમ ના ચશ્મા પાછળ એમ ના ધ્યાન મગ્ન લોચન, જાણે કોઇ તપસ્વી ધ્યાનમગ્નાવસ્થામા વિરાજમાન. ભગવાને એમને નાક અને કાન સાંભળવા કે સૂંઘવા જેવાં તુચ્છ કામ માટે નથી આપ્યાં, પરન્તુ કાન અને નાક એ એમના ચશ્માના સ્ટેન્ડ તરીકે આપેલ છે અને આંખો પુસ્તક વાંચનાર્થે. એમના માટે ફુલ પણ પુસ્તકમાં ઊગે છે ને સુર્યનારાયણ પણ પુસ્તક્માં ઊગે છે. તેમની અસામાન્ય ઊંચાઈથી ઊંટને પણ ઇન્ફીરીયોરીટિ કોમ્પ્લેક્ષ થાય. એમણે પોતાની નોંધ પોથીમાં કઇં ટપકાવ્યું, મને પણ એમને જોઇ અનુસરવા મન થ્યું. પણ હું શું લખું? એટ્લે આ વર્ણન લખ્યું. પેન્સીલ વિદ્રોહ કરે છે, લખવા તૈયાર નથી. લખે શેની નહી, એના બાપનું રાજ છે?
પેલા ખુણામાં એક મુછાળા મહોદય પણ 'પુસ્તકમ્-પુસ્તકમ્ પઠ્ન્તી-પઠ્ન્તી' કરે છે. એક હુંજ 'પુસ્તકમ્-પુસ્તકમ્ કિમ પઠ્ન્તી?' વિચારતો બેઠો છું. ત્રીજી બેન્ચ પર પાંડેજી બેઠા છે, આઇ.એમ.પી. માર્ક કરે છે. એમનું માર્કીંગ પતે એટ્લે હું ઝેરોક્ષ કરાવીલઇશ, બસ આ પરીક્ષા પુરતું ટેન્શન નહીં લેવું પડે મારે. પાંડેજી દુકાળમાં મહિનાઓથી ખાધા-પીધા વગર રહ્યા હશે, એટ્લેજ અત્યારે હાડપીંજર પર ચામડીનું લેમીનેશન કર્યું હોય તેવા દેખાય છે. ચણોઠી જેવડાં મગજને શિદને આટલો કષ્ટ આપતા હશે?
પાંડેજીની આગળ ચાર છોકરીઓ બેઠી છે પણ પાંડેજી પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવામાં વ્યસ્ત છે એટ્લે તેઓ ત્યાં લક્ષ આપતા નથી. અમે હવે પુસ્તકાલય થી નીચે ઉતરી પાર્કીંગ એરીયામાં આવ્યા. ચઢ્તાં-ઉતરતાં ચશ્મા-પાંડેજીને પેલા મુછાળા વચ્ચે વિદ્વતા સાબિત કરવા જંગ છેડાયો છે. ચઢ્તાં-ઉતરતાં ચશ્મા બોલ્ય કરે છે સતત અવિરત..શેક્સપીઅર, વર્ડઝવર્થ સાંભળતા હશે તેમ તે માને છે. વાહ એમના પ્રવચન થી ગેલમાં આવી બહેરાએ તાળી પાડી, આંધળાએ કાનમાં આંગળી ખોસી 'કાશ હું બહેરો હોત..' કહ્યું, લંગડો જાય દોડ્યો... તો મારો વાંક શો?

-
પલ્લવ અંજારીઆ

રવિવાર, 28 જૂન, 2009

Global Warming

ઝાડ, ઘટાટોપ ઝાડ, તેની વડવાઈઓ, પાંદડાં, ડાળીઓ, મનફાવે તેમ મનફાવે ત્યાં ઊગી નીકળ્યા હોય છે. લગરવગર આકાર વગર બસ આમતેમ ફેલાઈ જાય છે. તેમ છતાં તે પ્રકૃતિ છે માટે સુંદર લાગે છે. વળી કેટલાંક વૃક્ષ જોઇ સાંભરે છે, અલગારી બાવા, બાવાની દાઢી, તે પણ આમજ લગરવગર આકાર વગર બસ આમતેમ ઊગી નીકળી હોય છે. વૃક્ષનો ઘેરાવો જોઇને થાય છે કે તે કેવું સ્વ નું વિસ્તૃતીકરણ કરે છે? તેવીજ રીતે બાવા પણ મફતનું, ધર્માદા ખાઇ ફુલ્યાફલ્યા હોય છે. પરંતુ વૃક્ષ આપણે વળતર મા અનેકવિધ મુલ્યવાન ભેટ આપે છે, જ્યારે બાવા? હા તેઓ પણ આપણે અંધશ્રદ્ધા, પલાયનવાદને ધુતાવા રુપી ભેટ આપેજ છે. આવા કહેવાતા વ્યભીચારી સંસાર ત્યાગીઓ પોતાના વિલાસ સબબ ભક્તોની શ્રદ્ધા સાથે ચેડાં કરે છે. બાવા જાત જાત ના ભાત ભાત ના બાવા, ચરસી બાવા, ધુતારા બાવા, ભગવાનના એજન્સી હોલ્ડર હોવાનો દાવો કરતા, ભૂરકીઓ છાંટતા, તંત્ર મંત્ર ના ઓઠાં હેઠળ સમાજને ભ્રષ્ટ કરતા બાવા, લુલા બાવા, લંગડા બાવા, બાવા બાવા બાવા.. દુનિયા બાવાઓથી ઊભરાય છે. બુઠ્ઠાં ને બીનઉપજાઉ જાડ નો તાપણાંમાં તો ખપ રહે છે પરંતુ મફત ખાઇ મદમસ્ત બનેલ બાવા ઉપયોગમાં પણ નથી આવતા અને સમાજનું નીકંદન કાઢે છે. એકજ જીવન મંત્ર છે એમનોઃ "પંછી કરે ન ચાકરી, અજગર કરે ન કામ, દાસ મલુક કહે ગયે સબકે દાતા રામ" માટે જો પરમ કૃપાળુ પરમાત્માએ દાંત આપ્યા છે તો ચાવવા ચવાણું ને મીઠાઈ પણ અવશ્ય આપશેજ!
જેમ વૃક્ષ માત્ર પાણીના વળતરમાં ફળ, લાકડાં, ઔષધ, પ્રાણ વાયુ વગેરે આપે છે તેમ બાવા પણ સમાજના સુધારા અને દિશા દર્શન માટે છે. બાવા સાધુ નથી બની શકતા ત્યારેજ સમસ્યા સર્જાય છે. જો બાવા વૃક્ષ બની જાય તો? કદાચ ગ્લોબલવોર્મીંગની સમસ્યાનું સમાધાન થઇ જાય!!!

-
પલ્લવ અંજારીઆ